Search This Website

Sunday 29 May 2022

જાણો સોમવતી અમાસ નું મહત્વ

જાણો સોમવતી અમાસ નું મહત્વ



મિત્રો હિંદુ કેલેન્ડર અનુસાર વર્ષમાં એવા ઘણાં ઓછા દિવસો આવતા હોય છે કે, જયારે આપણે પ્રભુસ્મરણ કરી અખૂટ પુણ્ય પ્રાપ્ત કરી શકીએ. સોમવતી અમાસનો દિવસ એવા જ પુણ્યશાળી દિવસ માંથી એક છે. અને આપણા હિંદુ શાસ્ત્રમાં પણ એવું વિધાન છે કે, સોમવતી અમાસના દિવસે પ્રભુભક્તિ કરવાથી મનવાંછિત ફળની પ્રાપ્ત થાય છે, અને પોતાનો પરિવાર સુખી અને સમૃદ્ધ થાય છે, અને એ પ્રાપ્ત થયેલું સુખ શાશ્વત ટકે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે શાશ્વત ટકવું એટલે આપણે જે પ્રાપ્ત કર્યુ છે તેનો નાશ ન થાય એવું. જો આપણા જીવનમાં જો કોઈ નુકશાન ન થાય, તો એ સૌથી મોટો ફાયદો સમજવો જોઈએ. તેમજ જીવનમાં ક્યારેય પણ હાનિ ન થાય અને શુભફળ પ્રાપ્ત થાય તો પ્રગતિ નક્કી જ જાણવી. સોમવાર અને અમાસનો સુમેળ હોય એટલે સોમવતી અમાસનો અવસર બને છે.



હવે તમને એમ પૂછીએ કે સોમવતી અમાસનું શું મહત્ત્વ છે? સોમવતી અમાસને મૌની અમાવસ્યા શા માટે કહેવાય છે? અને સોમવતી અમાસના દિવસે એવા ક્યા કર્મ કરવા જોઈએ, જેથી તમારો સંકલ્પ સિદ્ધ થાય? તો કદાચ આના જવાબ તમારા માંથી કોઈકને જ ખબર હશે. પણ આજે આ લેખના માધ્યમથી અમે તમને એના વિષે શાસ્ત્રોમાં જણાવેલી વાતો જણાવીશું, જેથી તમને તમારા પરિશ્રમનું ઉત્તમ ફળ મળે. અને તમે સુખી જીવન જીવી શકો.

પહેલા તો એ જણાવી દઈએ કે અમાસ એટલે શું? અમાસ કોને કહેવાય? તો સૂર્ય અને ચંદ્રના આંશિક મિલનના દિવસને અમાસ કહેવાય છે. જ્યાં સૂર્ય અને ચંદ્ર સાથે હોય છે અને તેમના અંશ સમાન હોય છે. જ્યારે સૂર્ય અને ચંદ્રના અંશ સમાન થાય ત્યારે ચંદ્રનું બળ ઘણું ઘટી જાય. એમ કહીએ તો એક પ્રકારે ચંદ્ર ક્ષીણ થઈ જાય છે.

આપણે ઘણી વાર લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે અમાસ ભારે. પણ લોકો એવું શા માટે કહે છે? તો મિત્રો, અમાસના સંપૂર્ણ સમયગાળામાં મન નકારાત્મકતા ધારણ કરે. ગંભીર બિમારીમાં સપડાયેલો વ્યક્તિ જીવનની ઇચ્છા ત્યાગી દે છે, અને પોતે ક્યારેય સાજો નહીં થઈ શકે તેવા વિચારો તેને આવે છે. તેમજ મુશ્કેલીમાં સપડાયેલો વ્યક્તિ પણ આપઘાતના વિચારો કરવા લાગે છે. આમ અંતર-મન ઉપર સર્વપ્રકારે હતાશા વ્યાપી જાય છે. કારણ કે, આ દિવસે ઇચ્છાશક્તિ, ઉત્સાહ અને મનનો કારક ચંદ્ર બળ ગુમાવે છે.

જો ચંદ્ર અને સૂર્યના નક્ષત્રનો અભ્યાસ કરવામાં આવે, તો ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં ભ્રમણ કરે છે, સૂર્ય પણ શ્રવણ નક્ષત્રમાં ભ્રમણ કરે છે. શ્રવણ નક્ષત્ર દેવગણ નક્ષત્ર છે. એટલે કે, શુભ છે. પણ, ચંદ્ર અને સૂર્ય આ બંને અગત્યના ગ્રહ રાહુ સાથે પ્રતિયુતિમાં છે. અને ચંદ્ર અને સૂર્ય સાથે કેતુ પણ ગોઠવાયેલો છે. આમ, આ દિવસે આત્માનો કારક સૂર્ય અને મનનો કારક ચંદ્ર એક પ્રકારે શુભનક્ષત્રમાં હોવા છતાં દૂષિત છે.




લોકો એમ કહે છે અમાસ થોડી ભારે છે. પણ શાસ્ત્રની અંદર આપણને ખૂબ પવિત્ર અને મહત્ત્વનું માર્ગદર્શન સાંપડ્યું છે. જેના દ્વારા આપણે આ પ્રત્યેક દૂષિત અસરોને નાબૂદ કરી શુભફળ પ્રાપ્ત કરવા સમર્થ બની શકીએ છીએ. સોમવતી અમાસને મૌની અમાવસ્યા પણ કહેવાય છે. સોમવતી અમાસના દિવસે આ પાંચ વાતનું ખૂબ મહત્ત્વ હોય છે. (1) મૌન જાળવવું (2) પીપળાના વૃક્ષની પૂજા (3) શિવજીની પૂજા (4) ગંગાસ્નાન (5) સૌભાગ્યની કામના. એ દરેક વિશે આપણે થોડી માહિતી મેળવીશું.

સૌથી પહેલા તો મૌન જાળવવાથી શું ફાયદો થાય તે જાણી લઈએ. મૌન જાળવવાથી આપણી આત્મિક શક્તિ ખૂબ જ વધ છે. જ્યારે નૈસર્ગિક ઊર્જાની બચત કરીએ ત્યારે આપણી આત્માની શક્તિ બળવાન થાય છે. અને શાસ્ત્રમાં આ વાતનો પુરાવો મોજુદ છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં દુર્યોધનનો વિજય થાય તે માટે ગાંધારીએ પોતાના આંખના પાટા ખોલી પ્રથમ દુર્યોધનને નિરખ્યો હતો અને દુર્યોધન વજ્રનો થઈ ગયો.

હવે પ્રશ્ન એ થાય કે એવું શા માટે થયું હશે? જો આપણે થોડો ઊંડો વિચાર કરીએ તો સમજાશે કે ગાંધારીએ જે આંખો દ્વારા વેડફાતી ઊર્જા બચાવી તેનો સંચય થયો અને તે ઊર્જાનો પાત દુર્યોધન ઉપર કર્યો. એવું બીજું ઉદાહરણ ધૃતરાષ્ટ્રનું છે. ધૃતરાષ્ટ્રના 100 પુત્રો કુરુક્ષેત્રમાં માર્યા ગયા. ધૃતરાષ્ટ્રનો અતિ પ્રિય દુર્યોધન પણ આ યુદ્ધમાં ભીમ દ્વારા માર્યો ગયો. જેથી, ધૃતરાષ્ટ્રના મનમાં ડંખ રહી ગયો.

યુદ્ધ બાદ ધૃતરાષ્ટ્રે શ્રીકૃષ્ણ સમક્ષ પાંડવોને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. આ મુલાકાત દરમિયાન ધૃતરાષ્ટ્ર બોલ્યા કે, મારો પ્રિય ભીમ ક્યાં છે? મારે તેને આલીંગન આપવું છું. શ્રીકૃષ્ણ ધૃતરાષ્ટ્રનો મલીન ઇરાદો સમજી ગયા અને ભીમને ધૃતરાષ્ટ્ર સમક્ષ ન મોકલ્યો અને ભીમનું પૂતળું ધૃતરાષ્ટ્ર સમક્ષ સરકાવી દીધું. ભારે રોષ સાથે ધૃતરાષ્ટ્ર ભીમના એ લોખંડી પૂતળાને ભેટ્યા અને તે પૂતળના ચૂરેચૂરા થઈ ગયા હતા.




તો એવું શા માટે બન્યું? તો મિત્રો જાણે-અજાણે ધૃતરાષ્ટ્રની નૈસર્ગિક શક્તિનો પણ સંચય થયો હતો, અને એ શક્તિ બળ એટલું વિપુલ અને શક્તિશાળી હતું, કે એ લોખંડી પૂતળાના પણ ચૂરેચૂરા થઈ ગયા. પણ આ ભૌતિક યુગમાં રોજ મૌન પાળવું તો પ્રત્યેક માટે શક્ય ન થાય.

પણ, સોમવતી અમાસના દિવસે જો મૌન ધારણ કરવામાં આવે, તો થોડેઘણે અંશે આપણી નૈસર્ગિક શક્તિ બળવાન બનશે. વળી, શ્રીકૃષ્ણે ગીતામાં સ્થિતપ્રજ્ઞતાની એટલે કે એકાગ્ર ચિત્તની વાત ખૂબ સારી પેઠે કરી છે. એ સ્થિતપ્રજ્ઞતાની પ્રાપ્તિ મેળવવા તરફ આ મહત્ત્વનું ડગલું થઈ રહે.

હવે શિવપૂજાનું શું મહત્ત્વ છે એ જાણીએ. સોમવતી અમાસના દિવસે આસુરી શક્તિ પ્રબળ હોય છે. કારણ કે, ચંદ્ર અને સૂર્યનું બળ પણ એ દિવસે ઘટ્યું હોય છે. આ બે ગ્રહોનું બળ જ્યારે જ્યારે ઘટે ત્યારે તામસી બુદ્ધિ પ્રબળ બને છે. તામસી બુદ્ધિ વ્યક્તિને અનિષ્ઠ તરફ ધકેલતી હોય છે. વ્યક્તિ ન કરવાનું કાર્ય કરી બેસે અને મુશ્કેલી વહોરી લે છે. જીવનમાં વણજોઈતી ગંભીર પરિસ્થિતિ દાખલ ન થાય તે માટે આજે શિવપૂજા અવશ્ય કરવી જોઈએ.

શિવપૂજન કરીએ ત્યારે આત્મા અને મનની શુદ્ધિ થાય છે. આપણે કોઈપણ પ્રકારના ગભરાટ અને ભયથી મુક્ત થઈએ છીએ. વળી, પ્રગતિ મેળવવી હશે તો ગભરાટ અને ભયથી મુક્ત થવું જ પડશે. શિવજી ચંદ્રશેખર છે. તેમણે ચંદ્રને મસ્તક ઉપર ધારણ કર્યો છે અને ગંગાજી જટામાંથી અસ્ખલિત વહે છે. જયારે આપણે શિવપૂજાથી પ્રથમ પવિત્ર થઈશું ત્યારે જ ભક્તિમાર્ગ ઉપર આગળ વધી શકીશું. શિવપૂજા આજે અખંડ અને તે અક્ષુણ્ણ પવિત્રતા અર્પશે.



સોમવતી અમાસે પીપળાના વૃક્ષનું પૂજન શા માટે કરવામાં આવે છે એના વિષે જાણીએ. તો મિત્રો, “अश्वत्थ सर्ववृक्षाणाम् એટલે કે વૃક્ષોમાં હું પીપળો છું.” આ વાત શ્રીમદ ભગવદ્ ગીતાના વિભૂતિયોગમાં શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને કહી છે. એટલે કે શ્રીકૃષ્ણે અર્જુનને પોતાના સ્વરૂપની સમજણ આપી છે કે, શ્રીકૃષ્ણ સ્વયં ક્યાં ક્યાં બિરાજમાન છે. વળી, કળીયુગમાં મનુષ્યને શ્રીકૃષ્ણ દુર્લભ નથી તેઓ આપણી સમીપ જ છે, તેની પ્રતીતિ તેમણે આપણને કરાવી છે. પીપળમાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ સમાયેલું છે.

સોમવતી અમાસના દિવસે પીપળાની પૂજા કરવાથી એક પ્રકારે પિતૃતર્પણ થાય છે. પિતૃઓના આત્માને સુખ પ્રાપ્ત થાય છે અને આપણને આશિર્વાદ પ્રાપ્ત થાય છે. સ્ત્રીઓ પોતાના પરિવાર અને સૌભાગ્યની વૃદ્ધિ અને સમૃદ્ધિ માટે પીપળાના વૃક્ષને સૂતરનો દોરો લપેટી 108 પ્રદક્ષિણા ફરે છે, અને પીપળાના વૃક્ષની પૂજા કરે છે. અને “ઓમ નમો ભગવતે વાસુદેવાય” આ મંત્રનો જાપ કરતા કરતા પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા ફરવાથી અનેકગણું પુણ્ય પ્રાપ્ત થાય છે.

કુરુક્ષેત્રના યુદ્ધ પછી યુધિષ્ઠિરને ચિંતા થઈ કે મારા ઘણાં વડીલો યુદ્ધમાં માર્યા ગયા છે. શું તેમનો જીવ અવગતે જશે? તેમની મોક્ષ પ્રાપ્તિ માટે મારે શું કરવું જોઈએ? આ પ્રકારે જ્યારે ચિંતીત થઈ યુધિષ્ઠિર ભીષ્મપિતામહ પાસે ગયા, ત્યારે ભિષ્મપિતામહે પિપળાના વૃક્ષનું પૂજન કરવાનું તેમજ ગંગાસ્નાન કરવાની સલાહ યુધિષ્ઠિરને આપી હતી.

પ્રયાગરાજના કુંભમેળામાં શાહીસ્નાનનો અવસર મળે છે. અગણિત શ્રદ્ધાળુઓ ગંગામાં ડૂબકી લગાવીને પોતાના સર્વપાપથી મુક્ત થાય છે, અને શુભસંકલ્પ સાથે જીવનનો નૂતન પ્રારંભ કરે છે. પ્રત્યેક દેવો અને તીર્થસ્થાન સ્વયં સોમવતી અમાસના દિવસે નદીઓમાં સમાયેલા રહે છે. આપણે ગંગાસ્નાન કરી શકીએ તો ઉત્તમ છે પણ ન કરી શકીએ તો સ્થાનિક નદીમાં કે પછી ઘરે “ગંગૈ ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી, નર્મદે સિંધુ કાવેરી સંન્નિધિં કુરુ” આ શ્લોક બોલી સ્નાન કરવું કરવું.

– અમિત ત્રિવેદી (જ્યોતિષાચાર્ય)

No comments:

Post a Comment