Search This Website

Monday 23 August 2021

રાજ્યમાં મંગળવારથી શરૂ થનારું શિક્ષક સજ્જતાનું રાજ્યવ્યાપી સર્વેક્ષણ મરજીયાત છે: શિક્ષણ મંત્રી

 

રાજ્યમાં મંગળવારથી શરૂ થનારું શિક્ષક સજ્જતાનું રાજ્યવ્યાપી સર્વેક્ષણ મરજીયાત છે: શિક્ષણ મંત્રી

  • કોઇ કસોટી-પરીક્ષા સ્વરૂપે નથી કે તેની નોંધ પણ શિક્ષકની સર્વિસબૂક કે કેરિયરમાં લેવાશે નહિ, સર્વેક્ષણ યથાવત રહેશે

  • શિક્ષક સંઘોનો બહિષ્કાર કે વિરોધ નિરર્થક છે: શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસીંહ ચુડાસમા

  • રાજ્યના 1.18 લાખ શિક્ષકોએ સર્વેક્ષણ આવકારી તેમાં જોડાવા સંમતિ આપી હોવાનો દાવો





ગાંધીનગર: રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા સુધારણાના હિતમાં આવતીકાલ તા. 24 ઓગસ્ટના રોજ યોજાનારૂં શિક્ષક સજ્જતાનું રાજ્યવ્યાપી સર્વેક્ષણ યથાવત રહેશે અને તેમાં કોઇ જ ફેરફાર કરવામાં આવ્યો નથી તેવો સ્પષ્ટ મત શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વ્યકત કર્યો છે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ શિક્ષક સજ્જતા સર્વેક્ષણના થઇ રહેલા વિરોધને નિરર્થક વિરોધ ગણાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, આ સજ્જતા સર્વેક્ષણ મરજિયાત છે-ફરજિયાત નથી. એટલું જ નહિ, તે કોઇ કસોટી કે પરીક્ષા સ્વરૂપે નથી માત્ર સર્વેક્ષણ છે. આ સર્વેક્ષણની નોંધ કે તેનો ઉલ્લેખ શિક્ષક સમુદાયની સર્વિસબૂક કે કેરિયરમાં કરવામાં આવશે નહિ. રાજ્યના બાળકોના ભવિષ્યની ચિંતા કરીને તથા શિક્ષણના હિતમાં રાજ્ય સરકારે આ આયોજન કરેલું છે. બાળકને તેની કક્ષા-ધોરણ પ્રમાણે લખતા, વાંચતા અને ગણતા આવડે તે ધ્યાને રાખીને શિક્ષકોને તાલીમ આપી સજ્જ કરાય છે.

શિક્ષણમંત્રીએ ગાંધીનગરમાં પ્રચાર માધ્યમો સમક્ષ આ અભિયાનની વિસ્તૃત વિગતો આપી હતી. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ શિક્ષક સંઘો સાથે બેઠક યોજીને તેમની સહમતિ મેળવી તેમને અનુકૂળ તારીખે એટલે કે તા.24 ઓગસ્ટે આ સર્વેક્ષણનું આયોજન કર્યુ છે એમ તેમણે જણાવ્યું હતું.

શિક્ષણમંત્રીએ આ શિક્ષક સજ્જતા સર્વેક્ષણની જે પહેલ રાજ્યમાં થઇ છે તેની ભૂમિકા આપતાં જણાવ્યું કે, શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા છેવાડાના વિસ્તારની શાળાના બાળકો-શિક્ષકોનું હાજરી સહિતનું મોનિટરીંગ જેવી પહેલ શિક્ષક સમુદાયના સક્રિય સહયોગથી દેશભરમાં એકમાત્ર ગુજરાતમાં થઇ છે હવે આ શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં પણ ગુજરાત લીડ લઇ રહ્યું છે. રાજ્યના 1.18 લાખ જેટલા શિક્ષકોએ આ સજ્જતા સર્વેક્ષણને આવકારી તેમાં જોડાવાની સંમતિ આપી છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે એમ પણ જણાવ્યું કે, શિક્ષક પદવી-ડીગ્રી મેળવીને સેવામાં જોડાય તે પછી શિક્ષણ ક્ષેત્રમાં સમયાનુકૂલ અનેક ફેરફારો આવતા રહે છે તેને અનુરૂપ તાલીમ સજ્જતા માટે આવું સર્વેક્ષણ જરૂરી પણ છે. શૈક્ષિક સંઘના બંધારણમાં પણ શિક્ષકોને સમય અનુરૂપ જ્ઞાન-શિક્ષણ પ્રક્રિયાને સુસંગત સજ્જ થવાનો ઉલ્લેખ છે જ. શૈક્ષિક સંઘની આ અંગે સંમતિ લઇને જ રાજ્ય સરકારે અભિયાન શરૂ કર્યુ છે. એટલે તેના બહિષ્કારની ઘોષણા વ્યાજબી નથી જ.

તેમણે સમગ્ર રાજ્યના 1.80 લાખથી વધુ શિક્ષકોને અપીલ કરી છે કે આ અભિયાન શિક્ષકો માટે, આવનારી પેઢી સમાન હાલના બાળકો માટે અને નવી શિક્ષણ નીતિમાં જેને મહત્વ અપાયું છે તે પાયો મજબૂત કરવાના ફાઉન્ડેશન એજ્યુકેશનના ધ્યેયને સાકાર કરવા માટે છે.

શિક્ષણમંત્રીએ એમ પણ ઉમેર્યુ કે, વર્ષ 2009માં યુ.પી.એ સરકાર દ્વારા સમગ્ર દેશમાં નો-ડિટેન્શન પોલિસી લાવવામાં આવી તેના કારણે પ્રાથમિક શિક્ષણનો પાયો કાચો રહ્યો છે અને જે નૂકશાન થયું છે તેને ભરપાઇ કરવાનો આ સરકારનો પ્રયાસ છે.

ભૂપેન્દ્રસિંહે રાજ્ય શિક્ષક સંઘ અને શૈક્ષિક સંઘ બેઉને અપીલ કરી છે કે રાજ્યનું બાળક ગુણવત્તાયુકત શિક્ષણ મેળવીને ભાવિ નાગરિક તરીકે આગળ વધે તે સરકાર, સમાજ અને શિક્ષક સમુદાય સૌની જવાબદારી છે. આ સામાજિક દાયિત્વ નિભાવવા શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં રાજ્યનો શિક્ષક સમુદાય જોડાય તેવો અનુરોધ શિક્ષણ મંત્રીએ કર્યો છે. શિક્ષણમંત્રી સાથે આ વેળાએ શિક્ષણ સચિવ વિનોદ રાવ, પ્રાથમિક શિક્ષણ નિયામક જોષી, જી.સી.ઇ.આર.ટી.ના નિયામક તુષારભાઇ પણ જોડાયા હતા.

No comments:

Post a Comment